RSS

Category Archives: Raghuvir Patel

વિરહ


હોય સ્વજન પાસે ત્યારે દૂર મોકલવાના અભરખા થાય છે. તે વ્યક્તિ દૂર હોય ત્યારે જીવ મળવા તલપાપડ થાય છે. અજયને  પણ આમ જ થયું. દૂર શહેરમાં નોકરી લાગી. પણ   કોઈ કામ ન આવડે. રોટલી બનાવતાં કે કપડાં ધોતાં. એટલે મમ્મી જોડે આવી આમ પાંચ વર્ષ અલાવ્યું. પછી લગ્ન થયા. શ્રીમતીજીએ ઘર ને વર સંભાળી લીધા. એટલે અજયને  નિરાંત ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. નોકરી સિવાય ઘરની કોઈ માથાકૂટ નહિ. લાંબો  સહવાસ અભાવો થવા લાગ્યો.  મન એમ કહેકે પત્ની થોડો સમય દૂર જાય તો છૂટથી ફરી શકાય. બંધિયાર વાતાવરણમાંથી બહાર અવાય. બીજું ઓફિસની સહ કર્મચારી મિસ મમતા સાથે મીઠો સબંધ પણ ઘરની  સિક્યુરીટીના લીધે બહાર જવાય નહિ. એટલે પત્નીને તેના માબાપની ખબર કાઢવા  વતન  જવા સમજાવી.

‘જો સરલા, થોડા દિવસ વતનમાં માબાપની ખબર કાઢી આવ?’

‘મારી તો ઘણીય ઈચ્છા છે પણ તમને કોણ જમાડશે? રાંધતા તો આવડતું નથી.’

‘એતો હું મેનેજ કરી લઇશ તું શાંતિથી જા.’

‘હું ચાર દિવસમાં પછી આવીશ. ભૂખે ન મરતા. ને સાંજનું  જમવાનું બનાવી દીધું છે સમયસર જમી લેજો. નાહ્યા પછી ગીઝર બંધ કરવાનું ભૂલી ન જતા.’ આવી તો કેટલીય શિખામણ  કપડાં તૈયાર કરતાં કરતાં આપી. પણ અજય તો બિન્દાસ હતો. આ હોટેલો કોના માટે છે. નહીતો મિસ મમતા…એના શરીરમાંથી એક મીઠી ધ્રુજારી નીકળી ગઈ.

‘હા ભાઈ હા તું જા તારે બસ આવશે.’મનમાં થયું જાય તો સારું.

તે ગઈ અજયે  એક રાહતનો શ્વાસ લીધો હવે… હું ને …. આવી કાલે રજા મૂકી પણ નક્કી કરી લીધો. પણ હાય રે નસીબ!

રાત્રે સમાચારમાં કોરોના ના કહેરને કારણે વડાપ્રધાને લોકડાઉન જાહેર કરી દીધું.  ઘરમાં રહો સલામત રહો. સવારે ઉઠવામાં નવ વાગી ગયા. દરરોજ તો સમયે પત્નીનું એલારામ વાગે.  ‘સારલા ચા…?પ્રશ્નનો  જવાબ અધ્યાહર રહ્યો. નાહવા જતાં ગીઝર કેવીરીતે એક્ટીવ કરવું એ સમજાય નહિ. કારણ કે દરરોજ ગીઝર ચાલુ કરી સ્નાન કરવા બુમ પડતી. રાત્રે તો ખાધું પણ હવે અત્યારે… રાંધવાનું બનાવવાને નામે મીંડું. હોટલો બંધ થઈ.હવે શ્રીમતીજીની યાદ આવવા લાગી પોગ્રામ તો ભુલાઈ ગયો. હવે શરીરના પોષણનો પ્રશ્ન થયો. વડાપ્રધાન કહે છે ઘરને મંદિર  બનાવો. એ હોત તો કદાચ બનત પણ અત્યારે તો ભમ્મર ગુફામાં ફસાયા છીએ. પત્નીનો વિરહ સતાવે છે. પણ મનમાં વારવાર પ્રશ્ન થાય છે. શું આ વિરહ પત્નીના પ્રેમનો  છે કે… તેના વિના અટવાઈ પડેલી જરૂરિયાતોનો?

ઘરમાં બધું જ ભરેલું છે પણ બનાવતાં  આવડતું નથી. કોઈ બનાવી આપે એવું છે નહી. પત્ની આવી શકે તેમ નથી. સરકાર ને સેવાભાવી સંસ્થા જે આપે તે ભિખારીની અદાથી ખાય છે. પત્નીના વિચારે માથું ભારે થતું જાય છે. મગજ વિચાર શૂન્ય થતું જાય છે.  વિયોગ વસમો પડ્યો. કોરોનાએ કહેર વરસાવ્યો.અજય પત્નીની યાદમાં ખાટલાશયન થયો.

લેખક: રઘુવીર પટેલ
“જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
મોબાઈલ: 9428769433

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 19, 2020 માં Raghuvir Patel

 

સંબંધોની શતરંજ


‘હરેક પ્યાદું મારવા કે મરવા જન્મ્યું છે,

હરેક સંબંધ હસાવવા,રડાવવા બન્યા છે.’

ગામમાં આજે ભાળેલા અગ્નિ જેવો માહોલ છે. લાગણીથી તરબતર, એકબીજામાં ભળેલા  હૈયાઓને  છૂટા પાડવાનું પાપ કરી રહ્યા છે. વાતનું વતેસર જ થયું છે.એ શંકર ચૌધરી ને જસુ ચૌધરી વેવાઈ તો ન જ રહેવા જોઈએ. કેમ કે તેમના સાળા સામ સામેની પાર્ટીના છે. વેવાઈઓ વચ્ચે કડવાહટ પેદા થઈ.ને વિવાહ ફોક થયા. જસુ ચૌધરી નવા વેવાઈ સાથે ગોળધાણા ખાવાની તૈયારી કરે છે ત્યાં…

આમ તો શંકર ચૌધરી ને જસુ ચૌધરી બે નાનપણના મિત્રો. સાથે રમેલા ને સાથે ભણેલા. શંકર ચૌધરી ભણવામાં થોડો કાચો,એટલે થોડું ભણ્યો. જયારે જસુ ચૌધરી અવ્વલ નંબર લાવે.પણ ખબર છેને ? નોકરી. ન મલી છતાં બંને સારું કમાતા થયા. નવલોહિયા હતા. લગ્ન પણ સમાન વયે, એક જ ગામમાં કરેલા એટલે પત્નીઓ પણ બહેનપણીઓ. પછી તો  પૂછવું જ શું? એમની મિત્રતામાં ચાર ચાંદ લગી ગયા.  બંને પોતાની પત્નીઓને લઈને ફરવા ગયેલા એ સમયે એકબીજાને વચન આપી દીધેલા કે એકબીજાને પુત્ર-પુત્રી થાય તો સગપણ કરી મિત્રતાને વેવાઈમાં ફેરવી સબંધો કાયમ રાખવા.

ને બન્યું પણ એવું જ  શંકર ચૌધરીના કુટુંબમાં પુત્રી આવી ને જસુ ચૌધરીને ત્યાં પુત્ર. ભાઈબંધી આગળ વધારવા તાજા જન્મેલા તેમના બાળકોના સગપણ કરી દીધા. રૂઢિવાદી સમાજમાં બાળલગ્નનો રીવાજ, એટલે  બાળપણથી જ લગ્ન કરી દેવાના.ગામમાં મળે ત્યાં સુધી બહાર ગામ ન જવાનું. ગામમાં વેવાઈ હોય તો ગામના રાજકારણમાં પીઠબળ રહે.  જસુ ચૌધરી થોડું વધારે ભણેલો એટલે સગપણ બરોબર છે પણ લગ્ન તો બાળકો યુવાન થાય ત્યારે જ કરવાના પણ  શંકર ચૌધરીનું મન કચવાયું. જોકે તેણે મિત્રનું માન રાખ્યું. પુત્રી મીરાં સ્વભાવે મીરાં જેવી જ ને પુત્ર મોહન નટખટ.

શાસ્ત્ર એવું કહે છેકે દીકરી ચૌદ વર્ષની થાય એટલે તેને તેનો જીવનસાથી બતાવી દેવાનો જેથી દીકરીનું મન બીજે કલુષિત ન થાય. અહી તો જન્મીને પાંચ વર્ષનાં પણ ન થયાં ને પાત્રો બતાવી દેવામાં આવેલાં. હવે બાળકો યુવાન થયા છે. એકબીજાને જીવનસાથીના રૂપમાં વર્ષોથી જોતાં આવ્યા છે. તે લગ્નનાં દીવા સ્વપ્નો જોઈ રહ્યા છે.  હવે લગ્ન કરી લેવાં જોઈએ એ વાત બધાને મંજુર  હતી.

પણ કહેવાય છેકે સારા કામમાં સો વિગન આવે. છોકરીનો મામો ને છોકરાનો મામો તેમના ગામમાં કાંઇક  જમીનના હક માટે ઝઘડેલા. ત્યાના સબંધોના સમીકરણોના છેડા અહી આ નિર્દોષ હૈયાને ભોગવાના આવ્યા. જોકે ઝઘડાનું તો બાનુ છે પણ મીરાં પર કેટલાય છોકરાઓના બાપની નજર પડતી. તે પોતાના ઘરની લક્ષ્મી બનાવવા  મામાને કોણીએ ગોળ ચખાડી સબંધોની શતરંજ ખોલવા લાગેલા. સબંધ જો રહે તો મામેરું મામો નહી લાવે. જોકે શંકરે તો પડખાવી દીધું કે મામેરા વિના ચાલશે પણ મેં જે મોઢે ગોળ ખાધો છે એ મોઢે કોલસા તો નહિ જ ખવાય. છતાં સબંધોની શતરંજના પાસા એવા ગોઠવાયા કે સાળાઓની  લડાઈના નામે  શંકર ચૌધરી-જસુ ચૌધરીની મિત્રતા ખંડિત થવા લાગી.  મીરાં ને મોહન તો આ શતરંજનાં પ્યાદાં જ છે લડનાર ખેલાડી તો બીજા જ હતા.

પણ કહેવાય છે કે ક્યારેક પ્યાદું પણ વજીરને માત કરી શકે છે.આમ તો પ્યાદાની  કોઈ હેસિયત નથી હોતી કે તે વજીરને માત કરી શકે. પણ જયાં કોઈનું પીઠબળ હોય તો પ્યાદું ગંતવ્ય સ્થાન સુધી પહોચી શકે છે. મીરાં ને મોહનનાં મન તો ક્યારનાંય એકરૂપ થઈ ગયેલાં હતાં.તેમને એકબીજાનું પીઠબળ તો હતું જ સાથે મીરાંના બાપનું પીઠબળ મળ્યું. ‘મારી દીકરીને મેં નાનપણથી ગાળ ચઢાવી છે એટલે વિવાહ તો ફોક નહિ જ કરું.’ તે ભલે ઓછું ભણ્યો હતો પણ તેને કુદરત પર અટલ વિશ્વાસ હતો કે સબંધ તો ભગવાને પહેલેથી નક્કી કરીને મુકેલા છે તેમાં આપણે કોણ તેને રોકવાવાળા ! બીજું તેણે મોહનરૂપી હીરાને પારખી લીધો હતો તેથી તે ગુમાવવા માંગતો નહોતો. લોકો તો સબંધ તોડાવવા તરેહ તરેહની વાતો કરવા લાગ્યા. એકબીજા પર ખોટા આર ચઢાવે.

કોઈ કોઈ આવી શંકર ચૌધરીને કહે ‘તારા બગીચામાંથી કોઈ  ફૂલ ચુંટી જાય તે તને યોગ્ય લહે છે.’

‘ફૂલનું ચુંટાવું  એ એની નિયતિ છે, અને સૌને મહેંક આપવી એ ફૂલની પ્રકૃતિ છે.’ શંકર ચૌધરી ચૌધરીને ખબર હતી કે પોતાને ભરમાવવા આવી વાતો આવશે જ એટલે  તરત જવાબ આપતો,

‘પણ આતો નજરે જોયું એટલે…’

‘મારું ફૂલ ગમેત્યાં હશે એ સુવાસ જ આપશે.તમારે નજર રાખવાની જરૂર નથી.’

કહેનારાના પાસા અવળા પડતા.જોકે મીરાં ને મોહન આ સબંધોની શતરંજમાં એવા તો ગુંચવાઈ ગયા હતા કે બહાર નીકળવાનો કોઈ આરો દેખાતો નહોતો. વર્ષોનો સબંધ ફોક થવા પર આવી ઊભો રહ્યો. બીજા ફૂલને પામવા તલપાપડ થવા લાગ્યા.મીરાં ને મોહને નક્કી કરી લીધું આ સ્વાર્થી દુનિયા એક સાથે છેડી દેવી.  જોકે શંકર ચૌધરીની મીરાં-મોહનને હુંફ હતી.

‘તમે  ચિંતા ના કરો  હું સબંધોમાં અટવાયો છું એટલે અત્યારે તમને કાંઈ કહી શકતો નથી પણ ધીરજ રાખો, ઉતાવરે કોઈ પગલું ભરતાં નહિ.’

‘પણ બાપુ…?’

‘દીકરી,  કન્યાદાન મારે કરવાનું છે. તે લોકો ભલેને અત્યારે ઉચાનીચા થતાં.સોગઠી સમય આવે મરાય. અત્યારે તમે ફક્ત તમારી સ્થિરતા રાખો. ’

મીરાં-મોહનને તો આટલી હુંફ ગણી હતી.

જસુ ચૌધરીનું ખમતીલું ઘર એટલે એને કન્યા આપવા કેટલાય તૈયાર હતા. આ સબંધ તૂટે તેણી રાહ જોઈ રહ્યા હતા.કોઈએ સારી કન્યા અપાવવાની વાત કરી. જસુ ચૌધરી ભરમાયો. શંકર ચૌધરીની મિત્રતા તૂટી. જસુ ચૌધરીએ સામે આવી સબંધ તોડ્યો.શંકર ચૌધરી પછડાટ ખાઈ ગયો. લોકો ગમેતે કહે પણ જસુ ચૌધરી નહિ બદલાય તેમ એ માનતો હતો, પણ પોતાની આશા ઠગારી નીકળી. છેલ્લે શંકરે મીરાં-મોહનના કાનમાં બ્રહ્માસ્ત્ર ફૂંકી દીધું.

‘ બેટા, તું મારી દીકરી છો મને તારા પર પૂરો વિશ્વાસ છે.’

‘પણ બાપુ, આબરૂ..’

 ‘હવે આબરુની ચિંતા છોડ,આબરૂ સાચવવા આપણી આબરૂ જ લુંટાઈ જાય ત્યાં સાચવીને શું કરવાની?. હવે એકજ…’

‘ સમજી ગઈ બાપુ.’

જસુ ચૌધરીના ઘરે મોહનના વેવિશાળ કરવા રૂપિયો લઈને સવારે દસ વાગ્યે મહેમાનો આવી પહોંચ્યા, ઘરમાં લગ્નના ગાણા ગવાવા લાગ્યા ત્યાં મોહનનો પત્તો નથી. વર વિના ચોલ્લો કોને કરાવવો. જસુભાઇ અવઢવમાં પડ્યા. મોહનને શોધવા  ઉપડ્યા ત્યાં સામેથી મીરાં-મોહન  ગળામાં વરમાળા પહેરીને આવી ઉભાં. જોઈ બધા જડવત બની ગયા.

જસુ ચૌધરી તો મોહનને મારવા…

‘તું મારો દીકરો થઈ મેં જે થુંકીદીધું છે તે ગળી આવ્યો. મારા ઘરે હવે તારો પગ નહિ! ચાલ્યો જા અહીંથી.

‘ઉભારો બાપુ, તમારે  મને જે કહેવું હોય તે કહો, પહેલાં મારી વાત તો સાંભળો?’

‘શું તારી વાત સાંભળવાની? મારી આબરુની ધૂળધણી કરી નાખી !’

‘બાપુ, તમારી આબરૂ બચાવવા જ મેં આ પગલું ભર્યું છે.’

‘ શું આ… આ  આબરૂ…’

‘અમારો વેવિશાળ તો તમે વષોથી કરી દીધો હતો અમે તો યુવાન થયાં ત્યારથી અમારો સંસાર સજાવતાં હતાં.અમરો સ્વપ્નનો મહેલ તો તમે બધાએ ભેગા થઈ સળગાવી દીધો. તેમાં મેં તો મારા રતનને સાચવવા આ સળગતા મહેલમાં પડતું મુક્યું.’

‘સીધી વાત કર,’

‘બાપુ , આ તમારા ઘરની આબરૂ છે. મીરાં મરવા જતી હતી. તેને બચાવી કારણ એ મરી જાત તો આપણો વારસ પણ સાથે મરી…’ મોહનથી એક ડૂસકું નંખાઈ ગયું.આખી ચોપડ જડ બની ગઈ. મીરાં સસરાને પગે પડી. જસુ ચૌધરીનો હાથ મીરાં-મોહનના મસ્તક પર મુકાઇ રહ્યો.. સબંધોની શતરંજમાં પ્યાદાએ વજીરને માત કરી દીધો. સબંધોની શરણાઈ વાગવા લાગી.

લેખક : રઘુવીર પટેલ

“જિગર” (ભજપુરા)

મોબાઈલ : +919428769433

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 18, 2020 માં Raghuvir Patel

 

ટૅગ્સ:

બારીનો તૂટેલો દરવાજો


‘તૂટેલા બારીમાં નજર ટકરાઈ,
નંદવાયેલા અરમાનો જાગ્યા.’

કોરોનાની મહામારીના કહેર વચ્ચે થીજી ગયા છે શહેરો, ને થીજી ગયા છે ગામડા.આજે માણસ માણસથી ડરે છે. પ્રત્યેક વસ્તુમાં મોત દેખાય છે. આવા સમયે વર્ષોથી શહેરમાં રહેતાં ડોકટર હરીશ પાઠક ગામડે આવ્યા. કોરોના વોર્યસ તરીકે લોકોના જાણ બચાવી નામના મેળવી, સાથે કોરોના ચેપગ્રસ્ત થયા. ચૌદ દિવસ હોસ્પિટલ મોત અને જિંદગી વચ્ચેની રમત રમી મોતને માત આપી ઘરે આવ્યા.

શુદ્ધ હવા માટે ગામડે આવ્યા. રાત્રે મોડા આવ્યા પણ સવારે દાતણપાણી કરતાં તેમની નજર રસ્તાની બાજુમાં આવેલા ઘરના કરામાં રહેલી બારી પર ગઈ. ખુલ્લી બારી, તેના દરવાજાનું એક મજાગ્રું તૂટી ગયું છે, એક ખીલે બારી ઢાંકવા મથી રહેલો દરવાજો ખાલીપાનો ખ્યાલ આપી રહ્યો છે. ડો.હરીશના મોઢામાં દાતણ રહી ગયું. તે ડો. હરીશમાંથી હરિયો થઈ ગયા.

વિધુત બાર્ડમાં નોકરી કરતા ચંપકલાલ પાઠક અવારનવાર બદલીઓ થતાં સ્થળ બદલતા રહેતા. આજે આ ગામમાં ભાડાનું મકાન લઈ રહેવા આવ્યા. દસમા ધોરણમાં ભણતા તેમના દીકરા હરિયાને આ ઘર ગમી ગયું. તેનું કારણ સમાન હારમાં પણ વચ્ચે રસ્તો એની બાજુમાં આવેલ ઘરની બારી. તેને પહેલા જ દિવસે ઘરની અગાસીમાં બેસી દસમા ધોરણની પરીક્ષાની તૈયારી કરતા તેની નજર બારી ખુલતી જોઈ. તેમાં એક ચળકતું મુખડું જોયું. પહેલાં તો આંખમાંથી ધૂમાડો ખર્યો. હરિયાને ગમ્યો. શાળામાં પહેલા જ વિજ્ઞાનના તાસમાં નવા આવેલા છોકરાને જવાબ આપતો જોઈ પોતાનો નંબર કપાશે એ બીકે સવલી(સવિતા)માં દ્વેષ પેદા થયો.

ધીમે ધીમે અંતર ઘટતું ગયું. ને લખેલ નોટબુકની આપલે થવા લાગી. ફળિયામાં નવા નાવા આવેલું કટુંબ ભળી ગયું. હરિયો ને સવિતા ભળવા લાગ્યા. શાળામાં ભણવા સમયે એકબીજાના હરીફ. છોકરા છોકરીઓમાં તુંતું-મેંમેં થયા કરે આ ઉંમરે આમ જ હોય. શાળામાં હરિયો અવ્વલ નંબરનો થઈને રહ્યો. સવલી ખાસ હરિયા સાથે બોલે નહિ પણ કોઈ છોકરી હરિયા પાસે નોટ માંગે તો તેનું નાક ચઢી જાય. તેને એમ લાગતું કે કોઈ મારું કંઈક લઈ રહ્યું છે. ન ખબર પડતાં હરિયા તરફ કૂણી લાગણીઓ જન્મવા લાગી. બંનેએ પરીક્ષાની તૈયારીમાં મન લગાવી દીધું. સ્પર્ધા નંબર ન જવો જોઈએ.રીઝલ્ટ આવ્યું. બંનેના સરખા ટકા શાળામાં બંનેનો પ્રથમ નંબર. એકબીજાને અભિનંદન

‘સવિતા, પ્રથમ નંબર માટે અભિનંદન.’

‘તને પણ. હવે શું કરવું છે?’

‘સાયન્સ. તારે?’

‘મારે પણ એજ. તું સાયન્સ રાખે ને હું ન રાખું તો કોઈ શું કહે? સવલી ડરી ગઈ, હું કાંઈ પાછી પડું એમ નથી.’

‘ખરેખર આ સાચું કારણ છે?’હરીશના શબ્દે સવિતાને વિચારતી કરી મૂકી. ખરેખર આ સાચું કારણ નથી. સાચું તો એક વિષય હોય તો હરીશને પુસ્તકોના બહાને મળી શકાય. કારણ કે પારકા છોકરા સાથે વાતો કરતી દીકરીને જોઈ નાથા મુખીએ દીકરીને ટકોર કરી હતી. તેમણે ગામમાં થતી આ બંનેની વાતો સાંભળી હતી. તેથી તેને મળવા પર રોક લગાવી હતી.

‘એમ રોજ રોજ છોકરાઓ સાથે શું ઠઠ્ઠામશ્કરી કરો છો? હવે મોટાં થયા જરા ભાન રાખો?’

‘ બાપુ, અમે સાથે ભણીએ છીએ.’

‘એ હવે પૂરું થયું ઘરના કામમાં ધ્યાન આપ ભણવાનું નથી.?’ પિતાનો ટોન સવિતા સમજી ગઈ હતી એટલે જ એકજ વિષયના બહાને મળાશે માટે સાયન્સનો ક્કો ભણતી હતી. હવે પિતાએ તો ભણવા પર જ રોક લગાવી. ‘વધારે ભણીને શું કરવું છે ? વેવાઈને ઘણુ ભરેલું છે.’

સવિતાની નાનપણથી જ સગાઈ કરી દીધી હતી. છતાં સવિતાના મનમાં હરીશના નામની છાપ પડી ગઈ હતી. બંનેના પ્રેમની સાક્ષી આ બારી હતી.એકબીજાના દિલમાં ઉતરવાનું માધ્યમ હતી.

હરીશ ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં ગયો. પિતાએ આ ભાડાનું ઘર ખરીદી લીધું. થોડાક જ સમયમાં સવિતાના પિતાએ ઘડિયાં લગ્ન લઈ લીધાં. પોતાના અરમાનોનો કૂચો કરી તે સાસરે સિધાવી. પ્રેમનું ખીલતું પુષ્પ જ કરમાઈ ગયું. છતાં દિલમાં હુંફ તો એકબીજાને સુખી જોવાની કાયમ રહી. હરીશ ઘરે આવે ત્યારે એ બારી તરફ અવશ્ય જુવે. અંદર શૂન્યાવકાશ સિવાય કાંઈ નહોતું. છતાં એ બંનેના પ્રેમની…

હરીશ સારું ભણી ડોક્ટર થયો. શહેરમાં નામના મેળવી ત્યાં જ રહેવા લાગ્યો. માબાપને પણ ત્યાં બોલાવી લીધા. લગ્ન કર્યા સંતાનો થયા. જયારે નવરો પડે ત્યારે વિચારોના વૃંદાવનમાં ચાલ્યો જાય. સવિતાને યાદ કરીલે. જોકે તેની રજે રજની ખબર રાખે પણ તેની સાથે કોઈ દિવસ વાત નથી કરી. એ એમ માનતો કે ભૂતકાળ સંસારમાં વંટોળ ઉભા કરી શકે, તે તેને માન્ય નહોતું.

સંજોગો કેવા બન્યા કે સવિતાના પતિને ચેપ લાગી ગયો. તે ન બચી શક્યા. સવિતાને પતિથી ચેપ લાગ્યો તે કોરોનામાં ફસાઈ ગઈ. ડો હરીશ જ્યાં કામ કરતા હતા ત્યાં જ લાવવામાં આવી.

‘તપાસ માટે ડોક્ટર આવ્યા નામ સવિતા વાંચી ભૂતકાળ… પણ પ્રાર્થના પ્રભુને કે એ ન હોય. પણ ભગવાને પ્રાર્થના ન સ્વીકારી, એજ નીકળી. તેની દવા કરી. ડોકટરનો પહેરવેશ પ્લાસ્ટિકના વસ્ત્રોને લીધે તે ન ઓળખી શકી. ડોકટરે પણ ઓળખાણ ન આપી. બીજા દિવસે તપાસવા આવ્યા ત્યારે- ‘સવી , કેમ છે?’

‘હેં !’તેના મોઢામાંથી ઉદગાર નીકળી ગયો. એકધારું જોઈ રહી મને સવી કહેનાર અહી કોણ? સવી તો ફક્ત હરિયો જ… બોલનારમાં હરીશને જોવાનો પ્રયત્ન કર્યો.

‘કેમ ઓળખાણ ન પડી?’

‘તું?’

‘હા હું તારો હરિ…’

‘ડોક્ટર મને બચાવી લો મારા બાળકો નાના છે ને એ…’

‘તું ચિંતા ન કર, હું છું ને? તને મોતના મોઢામાંથી પાછી લાવીશ.’

જોકે વધુ વાતચીત ન થઈ પણ ડોકટરે સારવાર વધારી દીધી. તેને વીઆઈપી સગવડ મળવા લાગી. ચૌદ દિવસમાં છેલ્લી ઘડીએ પહોંચેલી સવિતાને બચાવી લીધી. તેને હેમખેમ પિતાના ઘરે પહોંચાડી ત્યાં કોરોનટાઈ કરી હતી. પણ તેનો ચેપ ડોક્ટર હરીશને લાગી ગયો. તેમણે પરિવારને ગામડે મોકલી દીધો. ત્યાં કોરોનટાઈ કર્યાં. બચાવનાર જ મોતના મુખમાં આવી ગયો. જોકે તે બચી ગયા.

‘ભાઈ, કેટલી વાર દાતણ કરતાં? ‘માતાના ટહુકે તે ભાનમાં આવ્યો. બારીનો તૂટેલ દરવાજાને એક ખીલે જકડાઈ રહ્યો હતો. અંદરથી એક કૃશ થયેલું મુખડું અંતરના આશિષ આપતું હતું.

લેખક : રઘુવીર પટેલ
“જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
9428769433

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 23, 2020 માં Raghuvir Patel

 

ટૅગ્સ:

પરિણામની ઉતાવળ


બારમા ધોરણનું વહેલી સવારે પરિણામ આવ્યું. ઉતાવળે ઓનલાઈન પરિણામ જોતા મનોજભાઈ બરાડી ઉઠ્યા.
‘ ક્યાં ગઈ , જો જો તારી લાડલીનું રીઝલ્ટ.’
‘શું આવ્યું ?’ તેમની પત્ની ને દીકરી શીતલ દોડી આવ્યાં.
‘ શું આવે ! નાપાસ.’મનોજભાઈ ગુસ્સામાં લાલપીળા થઈ ગયા.
‘હેં !!!’
‘ હું હેં ! મેં કેટલીવાર કહ્યું પણ મારું માને કોણ? રોજ બધાને કહેતી ફરતી કે મારી શીતલ હોશિયાર છે. પેલા સાહેબો પણ હોશિયાર હોશિયાર કરતાતા.’
‘પપ્પા, મને જોવાતો દો?’
‘તને હવે શું બતાવવાનું. ગુજરાતી,સંસ્કૃત સિવાય બધામાં ફેલ.ગામમાં મારું નાક કાપ્યું.’
શીતલને આઘાત લાગ્યો. બાપનો લાલઘુમ ચહેરો જોઈ ત્યાંથી ચાલી ગઈ.
મનોજભાઈ મોબાઈલમાં નેટ બંધ કરી આમ તેમ આટાફેરા મારવા લાગ્યા.
ત્યાં શાળામાંથી ફોન આવ્યો. ‘અભિનંદન મનોજભાઈ !’
‘શાના?’
‘શીતલ શાળાના ફસ્ટ આવી.’
‘હેં.’
‘હા અમે અત્યારેજ ઓનલાઈન પરિણામ જોયું.શીતલને અભિનંદન આપજો.’
મનોજભાઈએ ફરી નેટ પર જોયું. ભૂલથી છેલ્લો ઓકડો એકની જગ્યાએ બે લખાઈ ગયો હતો. તેનું નામ પણ શીતલ જ હતું. બૂમ પાડી.
‘શીતલ… શીતલ,’ શીતલ ક્યાંય દેખાઈ નહિ.’
બીજા માળે કચરો-પોતું કરવા ગયેલી શીતલની મમ્મીએ રાડ પાડી.
શીતલ દુપટ્ટો પંખે બાંધી શીતળ થઈ ગઈ હતી. આઘાતને પચાવી શકી નહિ.

લેખક : રઘુવીર પટેલ
“જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
9428769433

 
Leave a comment

Posted by on ઓગસ્ટ 16, 2020 માં Raghuvir Patel

 

ભૂખ


શહેરમાં જ્ઞાતિવાદના દાનવે એવો ભરડો લીધો કે શહેર આખુ ભડકે બળવા લાગ્યું. જ્યાં જુવો ત્યાં મારો કાપોની વાતો. સરકારી- બિનસરકારી મિલકતોને ભારે નુકસાન થયું. શહેરની શાંતિને કોઈની નજર લાગી ગઈ. બે જ્ઞાતિઓ વચ્ચે મુખ્ય રસ્તા પર પૂતળુ મુકવાની બાબતમાં પરિસ્થિતિ વણસી ગઈ. સરકારે 144ની કલમ દાખલ કરી. દેખો ત્યાં ઠારના હુકમ દેવાયા.બ્લેક કમાંન્ડોની કુમક આવી તોફાનને કાબુમાં લઈ લીધું છે. પાંચ પાંચ દિવસથી કરફ્યું છે. છતાં ક્યાંક ક્યાંક છમકલા થતાં રહે છે. છૂટક રોજી કરી પેટિયું કમાનારા બિચારા બેકાર-બેહાલ થયા. નાથો ને તેની પત્ની નાથી હાથલાળી ખેંચીને પેટિયું રળતાં પણ આ હુલ્લડને કારણે ચાર ચાર દિવસના ખાવાના સાંસા પડ્યા છે.નાથો એક હાથે ઠુંઠો છે. ને ઓછામાં પૂરું અત્યારે તેને સખત તાવ આવ્યો છે.સંતાનો મા પાસે ખાવા માંગે છે.પણ ક્યાંથી લાવે ? ત્રણ સંતાનોમાં બે તો માંડ ચાલતાં શીખ્યાં ત્યાતો ત્રીજું માના સ્થાનકે વળગ્યું.. પેલા બેની ઈર્ષા કરતું જાણે માના સ્તન પર એતો લિજ્જત માણી રહ્યું છે. નાથો ને નાથી ગરીબીમાં હુંફ મેળવવા ભારતની જન સંખ્યા વધરતા જાય છે. ગરીબીમાં આમજ થાય. આમતો નાથો એક મિલમાં પ્રામાણિકતાથી કામ કરતો ત્યાં સાથે કામ કરતી નાથી સાથે આંખ લડી ગઈ.બંનેએ એક બીજામાં ભળી જવાના કોલ દઈ દીધા. પણ એકવાર યંત્ર છટકવાથી તેનો હાથ કપાયો ને મિલના કામનો ન રહ્યો.એટલે નથીના માબાપે નાથા સાથે પરણાવવાનો નન્નો ભણી દીધો.

‘એ ઠુંઠીયા સાથે તો તને નાં જ પૈણાવું.’
‘ બાપા હું પૈણીશ તો નાથા હરે જ.’
‘ એ ઠુંઠીયામાં અવ હુંસ, ઈન મિલમાં કાંમ નથી આલતા.’
‘ હુંસ તે મી મારો દેહ. ..’
‘ તું બોલતાંય શરમાતી નથી?’
નાથી જેનું નામ એણે લગ્ન પહેલાં જ નાથાનું પડખું સેવેલું એ હવે કેમ માને ? એટલે નાથીએ તેની સાથે જ પરણવાની હઠ લીધી. નાથો પણ દિલનો ચોખ્ખો. એને બાપની ઉપર વટ જઈ લગ્નની ના પાડી પણ માને તો નાથી શાની ? નાથને મનાવીને બાપની ઉપરવટ જઈ લગ્ન કરી લીધા. નાથાનું મૂળ નામ તો નથ્થુરામ પણ બેકારીમાં નાથિયો ને નાથો થયું.બેકાર નાથો અને તેની પત્નીએ છુટક મજૂરી કરી મહામુસીબતે હાથલાળી લઈ આવ્યાં… નાથો મહેનતુને ખુશ મિજાજી. નાથીય એના જ સ્વભાવની. આખો દિવસ હાથલાળી ખેંચે ને શહેરમાં ફૂટપાથના ખૂણા પર સાંજપડે હાથલાળી ઊભી કરી તેના નીચે પોતાનો સંસાર વધારે.હાથલાળી એજ એમનો મહેલ. ગરીબીમાં ચારે કોરથી ઘેરાયેલ છતાં સુખેથી પોતાનું ગાડુ ગબડાવે જાય.. જન સંખ્યા વધારે જાય.
અત્યારે તાવમાં તગતગતો ને ભૂખથી અકળાતો, તોય છોકરાંની ચિંતાએ…
‘નાથી ,છોકરાંન કાંઈ ખવાનું આલ.’
‘ હુઆલું કાંઈ નથી.’
‘મા…મા , મને ભૂખ લાગી છે’એક છોકરાએ બુમ પાડી
‘ હમણાં સૂઈ જાવ કરફ્યું ઉઠાશેને પછી કાંક લાવીને આપું છું હોં !” નાથી બાળકોને ફોસલાવી રહી છે. પણ ચારચાર દિવસનાં ભૂખ્યા બાળકો કેવી રીતે સહન કરે. તે બંને ને પણ ક્યાં ખાવા મળ્યું હતું?
‘પણ મા, મને ભૂખ લાગી છે.’
‘ક્યાંથી લાવું ?’
‘ પણ મા…’
‘કયુ ને સૂઈ જા. હમણાં બાર નીકળું તો પેલો પોલીસવાળો ભળાકે દે.’ માએ પોલીસની બીક બતાવી.
‘ નાથી, જોન કેવા દાડાઆયા સ. લાય મુ ગમેત્યાંથી કાંક લઈ…’
‘ સંકરના બાપુ તમે સાંનામાંના હુઈ જાં.સંત્યા નથી કરાં, તમે વધાર માંદા પડશાં’
‘ અવ માંદા ન હાજા,આંમય ભુખેતો મરીયે જ શીયેન ? મનય ખુબ ભૂખ લાગી સ.’
નાથો ઊભો થવા જાય છે. નાથી તેને પાછો સુવાડતાં
‘ અરે ! તમાંન તાવ વધતો જાય સ તમારૂતો આખું શરીર ધાખસ.’
‘ નાથી મી આખી ઝિંદગી કોઈના પાહ હાથ લાંબો કરી કાંઈ માગ્યું નથી.,પણ આ ભૂંડી ભૂખ મન આજ મગાઈ ન રહ.’ નાથો વધતા તાવમાં લવારે ચઢ્યો.
‘હે ભૂખના લગાડનાર ભગવાન, અમારા હામું કાંક તો જો ! અવ આ ભૂખ નથી ખમાતી.તારા પાહ એવું કાંય રસાયન નથી ક આ ભૂખ જ નાં લાગ ! તું તો હજાર હાથ વાળો સ.કાંક કર્ય ભગવાંન કાંક કર્ય ! પેલા તોફનીયાંન કાંક સદબુદ્ધિ આલ. આમારો ધંધો-રોજગાર હેંડ.’
‘હે ભગવાંન અવ ભૂખે બધાંનો જીવ જાય સ આ ભૂખ ઠારવા કાંક કર.’નાથી પણ ભગવાનને પ્રાર્થના કરી રહી.
એક વિસ્તારમાં થોડા સમય ખરીદી માટે કરફ્યું હટાવ્યો. નાથી ભગવાનને વીનવતી ધાવતા બાળકને લઈ ને કોઈ દુકાનમાંથી કાંઈ મળી જાય તો ઉધાર લઈ આવવા નીકળી.
‘નાથી વેરાહતી આવજે મનય ભૂખ લાગી સ.’
‘હમણાં આઈ .’
સામેની ગલીનો વળાંક વટાવી એક સોસાયટીના નાકે આવેલ દુકાને જાય છે, ત્યાં લેનારાઓની ભીડ જામી છે.ત્યાં કોઈએ અટકચારો કર્યો ને સામસામે મારામારી થઈ ગઈ. બ્લેકકમાંન્ડોની કુમક આવી ગઈ, પરિસ્થિતિ વણસી. એને શાંત કરવા કરફ્યું વાદી દેવાયો. ટોળું ન વીખરાતાં તેને વિખેરવા બ્લેકકમાંન્ડોએ ગોળીબાર કર્યો.જીવ બચાવવા નાથી છોકરાને લઈને ભાગી પણ ગોળી નાથીનું નામ લખીને આવી હતી. નિર્દોષ બિચારી નાથીની છાતીની આરપાર નીકળી ગઈ. શંકરના બાપુ કરતી તે ઢળી પડી પણ માતાની મમતાએ પેલા બાળકને ન છોડ્યું. નિશ્ચેતન દેહ પર પડેલું બાળક માના નિશ્ચેત સ્તન હજુય ભૂખ શમાવવા ચૂસ્યા કરે છે, દુધ ન આવતાં હજુય હીબકાં… ભૂખ્યો નાથો હજુય નાથીની આવવાની રાહ…

લેખક: રઘુવીર પટેલ
“જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
મોબાઈલ: 9428769433

 
Leave a comment

Posted by on જૂન 8, 2020 માં Raghuvir Patel

 

ટૅગ્સ:

માણેકમાની મેંડી(ભેંસ)


વાર્તા: માણેકમાની મેંડી(ભેંસ)

‘પશુ પક્ષી મારા જ અંગો, કેમ દૂર કરું મુજથી.
પશુ પીડનથી પીડા થાય,શાને સહેવાય મુજથી?’

‘મેં તને શેટલીવાર કીધું ક આ મેંડીન મારે નથી વેસવી, તોય ગરાક લઈન શમ આયો?’
‘પણ બાઈ(બા) આપણ ઢોર વધાર થઈ જ્યાં સ એટલ મન ઈમ ક થોરાં ઓસાં કરીએ.’
‘હું કપાળ તારું ઓસાં કરીએ!’
‘ઢોર એ તો આપણું જીવન સ.’
ગામડાના એક ફળિયામાં બોલાચાલી સાંભળી લોકો કુતૂહલવશ બહાર નીકળી આવ્યાં. માણેકબાના ઘરમાં મા દીકરા વચ્ચે ચકમક ઝરતી હતી. દીકરો રામજીએ ઘરડી થઈ ગયેલી ભેંસને વેચી બાનું લઈ લીધું હતું. ગ્રાહક ભેંસ લેવા આવ્યો હતો. પણ માણેકબા ભેંસ વેચવા માંગતાં નહોતાં એ ઢોરને જીવન માનતાં. એમાય આ મેંડી (જેના શીંગડા નીચે તરફ વળેલા હોય તેવી ભેંસ) તેમને ખૂબ વાલી હતી. એ એવું માનતાં કે ઢોર એ આપણા સ્વજનો છે. આપણને પોષે છે, તેને ઘરડા થયે કેમ વેચાય? એટલે જ તો આજે દીકરાને ધમકાવતાં હતાં. દીકરાની વહુ રાજી તેમજ ગ્રામજનો પણ મા દીકરાનો સંવાદ સાંભળી રહ્યાં હતાં. કેટલાંક તો ટાપશીપણ પુરાવતાં કે સાચી વાત છે. ઘરડા ઢોરને ન વેચાય.
‘પણ બાઈ બધાં ભેગાં કરી ખવરાવવું હું?’
‘શમ આજ હુજી ખવરાયું હું?’
‘અવ એ ઘેરી થઈસ, ન આલતીય નથી.’
‘વાહ દીકરા વાહ! આજ મારા ધાવણ તી સતુ કર્યું. અલ્યા! જે ડોબાએ આખી જિંદગી તન દૂધ પાયું એ અવ આલતી બંધ થઈ એટલ આગી કરવાની?’
‘તો ઇન રાખીન હું કરવાની?’
‘એટલ વેશી મારવાની? તું ઈમ માનસ ક સ એ ઘૈઈડી ભેંશ દોવા લઈ જાય?એ તો કતલખાન મોકલ.અન કાલ ઉઠીન મન કાંમ ની થાય એટલ કાઢી જ મુકે ન?
ઘરમાં ઘેંરું મનેખ ન ગમાંણમાં ઘેંરું ઢોર નાં હાસવી હકીએ તો જીવનમાં ધૂળ સ.તન ખબર સક તારા બાપની શેલ્લી ઘરી(ઘડી) હુજી મેં સેવા કરી. લ્યા આવી સેવા શાંથી કરવા મલ.’
‘બાઈ તું વાત ન શાં લઈ જાંય સ? ઢોરની વાત જુદી સ.’
‘દીકરા માંણહ ક ઢોર જીવ તો એક જ સક?’તે દન પેલા બાવજી હું કેતાતા ખબર સક, ગીતામાં ભગવાંને કયું સક બધા જીવોમાં મું વસું સુ. એટલ બધા હાથી દયાભાવ રાખાં.દરેક પ્રાણીઓમાં મન જુવાં.’ એક અભણ વ્યક્તિમાં પણ જીવનનું કેવું તત્વજ્ઞાન છે. તે જીવ માત્રને પોતાના મને છે.
‘મી બાનું લીધું…?’
‘ પાસું આલીદે.’
‘આપર ઘેરાં ઢોર વેશીન પૈશાવાળા નથી થવું.’
રામજીએ કમને પેલા ગ્રાહકને બાનું પાછું આપ્યું. ભેંસ ન વેચવા દીધી તેથી રામજીનું મન બા પ્રત્યેથી ઉતરી ગયું. બે ચાર દિવસ બોલ્યા ચાલ્યા વગર ફરવા લાગ્યો. આ જોઈ માણેક બા એ રામજીને અને તેની વહુ રાજીને પાસે બોલાવી વાત કરી.
‘તન ખબર સ આ મેંડી ન મી શમ ના વેસવા દીધી? ઘેરા ઢોરન તો નાં જ વેસાય એ તો મી ગીતની વાત બાવજીના મોઢે હાંભળી તાણથી નક્કી કર્યું હતું મેંડી તો શેટલી સુકનવંતી સ ?એ તન ખબર સ? બધાં બેહોં મારી પાહ.’ રામજી અને તેની પત્ની માણેકબા પાસે બેઠાં.
‘જો તું એક્વીહ વરહનો થયો તોય લગ્નનો શાંય વેત નોતો પડતો. તન તો ખબર સક આપણ તો બાળ લગન થાય સ. મન ન તારા બાપન તારી હગાઈ નાં થઈ એટલ શિન્તા રતી. એવામાં એક દન આ મેડીની મા વિયાંણી એ દન પાડું ખેંસવા તારા માંમોજી સ એ માધો પટેલ આયેલા.
એ કી લ્યાં માણેકબુન તમાર તો ડોબાન પાડી આઈ.માંડવો આયો.
મી કીધું માધાભઈ ! પાડી તો આઈ એ હારું પણ તમે જુવાં સાંક મારા રમલાનું અજી ઠેકાંણું નથી પડ્યું.’ –
માધાભઈમાં રામ વશ્યાક હું તે કી માણેકબુન ચંત્યા હું કરાંસા લ્યાં આ રૂપિયો મારી ભાંણીની હગાઈ રાંમલા જોડે, એમને ફરાક દઈન મૂળના પતીકા જેવા રૂપિયો કાઢીન તારા બાપના હાથમાં આલી દીધો.એટલ મી તો મનોમન નક્કી કરી લીધું ક આ પાડી શુકન વારી સ. અવ કેં એ પાડી શુકન વાળી ખરી ક ન ?’
‘ખરી પણ તી કોઈ દી…’
‘ અજી હાંભળ, તારી વઉ ન હરો દન આયો એજ દન મેંડી વિયાંણી. પાડો આયો,તો મી એન હાસવી ન મોટો કર્યો પસ ગાંમમાં રમતો મૂકયો.’
રામજી ને તેની વહુ તો માણેકબાની પશું પ્રત્યેનો પ્રેમ,ગીતાનું તત્વજ્ઞાન ને શુકનમાં માનવાની વાત થી મનોમન એ દેવીને ને વંદન કરવા લાગ્યાં.

…….અસ્તુ ……..

લેખક: રઘુવીર પટેલ
“જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
મોબાઈલ: 9428769433

 
Leave a comment

Posted by on મે 25, 2020 માં Raghuvir Patel

 

સન્નાટો 


ટૂંકી વાર્તા: સન્નાટો

‘કોઈના અભરખા અધૂરા રહે છે,
કોઈની કામુકતા પ્રાણને ભરખે છે.’

વૈશાખ પોતાનો પ્રભાવ ગરમી આપીને બતાવે છે. દિવસભર તો લોકડાઉન જેવી સ્થિતિ થાય છે. એટલે લોકો રાત્રીના સમયે બહાર નીકળે છે, પરંતુ રાત એ રાત છે. થાકીને મધ્યરાત્રીએ સૌ જંપી જાય છે એવે સમયે કોણ જાગે? સંત કે ચોર. તો ક્યાંક ક્યાંક દોરાધાગાવાળા જાગે.

નારાયણ ભૂવો આજે બાજુના ગામમાં એક છોકરીને ભૂત ભરાણું હતું. તે ભૂતને કુલડીમાં પૂરી ત્રિભેટે ખાડો કરી દાટી, પેંડા ચવાણું ખાઈને તે જ ગામના સાગરીતોને રવાના કરી કર્યા. પોતાના ખખડધજ જૂના જમાનાનું બજાજ સ્કુટર લઈને પોતાના ગામ આવવા નીકળ્યો. રસ્તામાં ગામ નજીક આવતાં ગામના અવાવરુ કુવા પાસે આવતાં આગળના ટાયરમાં પંચર પડી ગયું. સ્કુટર બંધ થતાં રાત્રીના ત્રીજા પહોરમાં વાતાવરણમાં સન્નાટો જણાય છે. દૂર ગામમાં ક્યાંક કોઈ રડતું કૂતરું સંભળાય છે. બાજુમાંથી તમરાનો અવાજ રાત્રીને વધારે ભયાનક બનાવે છે. નારાયણે વિચાર કર્યો ટાયર બદલવું કે ખેચી જવી.

આમ તો તે ઓલરાઉન્ડર કોઈનું સ્કુટર બગડે તો રીપેર પણ કરી આપે ને કોઈને ભૂત વળગે તો તે પણ કાઢી આપે. ટૂકમાં કબાડી માણસ. ભર યુવાનીમાં કોઈએ દોરાધાગા કરતા શીખવાડેલું. તેમાંથી હવે મોટો ભૂવો બની ગયો. લાંબા વાળ ને લાંબી દાઢી રાખે, ગળામાં મોટા મણકાની માળા, કહે છે કે તેને પૂર્વજનો હાથ છે. એટલે ગમેતેવા ભૂત તેનાથી દૂર ભાગે. તેની એકજ કમજોરી તે છૂટી પાટલીનો. ભૂત કાઢવાનાં મોટેભાગે સ્ત્રીઓને હોય. યુવાન સ્ત્રીને જુવેને તેની દાઢ ગળે. ઘરે સુંદર પત્ની પણ વસ્તાર નહિ. એટલે નવી બૈરી કરી પારણું બાંધવાના અભરખા કર્યા કરે. ગામમાં મહાત્મા તરીકે પૂજાય. કોઈને સંતાન ન થતું હોય તો બાધા આખડી આપે. જેને સંતાન થાય તેના નૈવેદ સ્વીકારે. એની પાસે બોલવાની એવી સિફત કે ગળતી દાઢ કોઈ જાણી ન શકે. સાતીલ કાતિલની જેમ વાણીની છૂરી ચલાવે કે સામેવાળાને ખબર પણ ન પડે ને લપટાઈ જાય. આમ પણ પારકા બૈરા સૌને ગમે એ ન્યાયે… ચાલ્યા કરે. ગામના મુખીની યુવાન કુંવારી દીકરી શારદા બીમાર રહે કોઈ વળગાડ જેવું. તેનું ઉતાયણું વરવા અવાર નવાર જાય. તેમાં એક્બેવાર છાનગપતિયાં કરી લીધેલાં. ત્યારથી શારદા તેના મનમાં વસી ગયેલી. જોકે શારદાને પોતાના ઈરાદાની વાત કરેલી નહિ. તે શારદામાં એવો તો આસક્ત થઈ ગયેલો કે ગમે ત્યાં યુવાન દીકરીને હાથ પકડે ને શારદા જ દેખાય.

આજે પણ જે સ્ત્રીના વાળ પકડી હાકોટા પડકારા કરાવતો તેમાં શારદા જ દેખાતી. અત્યારે ટાયર ખોલતાં પણ એજ વિચાર આ ટાયર (પત્ની)કામનું નથી. સ્પેરવીલ (શારદા) લગાવી દઉં. એ ધૂનમાં ટાયર ખોલે છે. ત્યાં દુરથી કોઈના પગલાનો અવાજ… છમછમ… છમછમ… સંભળાયો. વૃક્ષોના રસ્તા પર પડેલાં પર્ણ કચડાવાથી છમછમ અવાજ થી નારાયણ… ગભરાયો. જિંદગીમાં ક્યારેય ન ડરેલો આજ ડર કેમ લાગ્યો? રાત્રીનો ભયાનક સન્નાટો તેમાં અંધકારમાં આવો અવાજ ભયાનક લાગે. કાંઈ પૂરું દેખાતું નથી. કોણ હોય? કાળા કપડાં-અંધકારથી રંગ પરખાયો નહી. ઓછાયો બાજુના કૂવા તરફ જતો જણાયો. તેને પસીનો વળી ગયો. ઓછાયો કુવાકાંઠે પહોંચ્યો. નારાયણ કઈ… બોલે.. વિચારે એ પહેલાં ધબાકધમ્મ, અવાજ સંભળાયો. નારાયણે પસીનો લૂછ્યો. કોણ હશે? ભૂત કે… માણસ??? સ્પેરવીલ ખોલવા ગયો તો ખબર પડી તેમાં પણ પંચર છે. મહામુસીબતે સ્કુટર ઘરે ખેચી લાવ્યો.

સવારે ગામમાં વાત વહેતી થઈ.મુખીની દીકરી શારદાને કુંવારે કલંક લગતાં કૂવો પૂર્યો. નારાયણના જીવનમાં સન્નાટો બોલી ગયો.

લેખક : રઘુવીર પટેલ

“જિગર” (ભજપુરા)

મોબાઈલ : +919428769433

 
Leave a comment

Posted by on મે 16, 2020 માં Raghuvir Patel

 

કલંકનું દર્દ


લઘુ વાર્તા : કલંકનું દર્દ

‘એય પાકીઝા, કેમ આજ બોલતી નથી.?’
‘…….’
‘પાકીઝા, હું તને પૂછુ છું ?’
તેની આંખમાંથી બોર બોર જેવડા આંસુ ખરવા લાગ્યા.તે પોતાના ભૂતકાળમાં સરી પડી….પશુપાલનનો ધંધો કરતાં કેટલાંક કુટુંબો પોતાના વતનથી દૂર ઘેટાં-બકરાં લઈને વગડામાં-ખેતરમાં પોતાના ડેરા નાખી રહે છે. ભણવાની ઉંમરે સાગર ને પાકીઝા વગડે વગડે રખડતું જીવન ગાળે છે. યૌવન આળસ મરડીને બેઠું થયું છે. બંનેના દિલ નિર્દમ્ભ છે, નાનપણથી એકબીજાના તાણાવાણા વણાઈ ગયા છે. હવે એકબીજાની ગેરહાજરી હ્રદયમાં ઊડા ઘા કરે છે. આ પરિસ્થિતિ બતાવે છે કે બંનેને એક બીજાનો સહવાગ ગમે છે.વગડામાં ચરતાં ઘેટાં એકબીજાના ભળી જાય તેમ આ બંને ભળી ગયાં છે.

અવારનવાર એક બીજાને કામ અર્થે રોકાવું પડે તો ઘેટાં એકબીજાને ભળાવીદે.એ દિવસ એમને માટે આક્ળો બની જાય. વર્ષનો સૌથી મોટો દિવસ હોય.કારણ એકલા એ સમય કાઢવો પડે. પાકીઝા રૂપ રૂપનો અંબાર હતી. સૌદર્યની સામ્રાજ્ઞી હતી.સાગર એના રૂપ પાછળ ગુલતાન હતો. તો સાગર સૂરોનો બાદશાહ હતો. હંમેશા વાંસળી જોડે રાખતો, તેના ગાનમાં બંને ભાન ભૂલી જતાં. વાંસળીએ પાકીઝાનું હૈયું ચોરી લીધેલું. વગડાનું એકાંત હોય, વાસળીનો સૂર હોય, ને અંગોમાં યૌવન અંગડાતું હોય,દેહનું સાનિધ્ય હોય પછી… બંનેએ લગ્નના કોલ દઈ દીધેલા..
હમણાં થોડાક સમયથી પાકીઝાએ બોલવાનું ઓછું કરી દીધું છે. હ્રદયમાં કોઈ વેદના હોય તેવું લાગી રહ્યું છે.સાગરના વારંવાર પૂછવા છતાં તે ચૂપ રહેતી. છેવટે જવાબ આંસુથી…

‘એય પાકીઝા, ક્યાં ખોવાઈ.?’

‘હવે ખોવાઈ જ ગઈ છું, હું લુંટાઈ ગઈ છું.હું કલંકીની તારા કામની નથી.’ રડતાં રડતાં તે બોલી.

‘હેં ! શું થયું. ?’

‘તે દિવસે તું નહોતો આવ્યોને ?’

‘એ વાતને આજે સવા મહિનો થવા આવ્યો.’

‘તે દિવસ તારાં ઘેટાં હું ચરતી તી તારા વિચારોમાં ખોવાયેલી હતી,ત્યારે મારું આ રૂપ વેરી બન્યું.’

‘એટલે…?’

‘મારી આબરૂ મને કલંક…’ પાકીઝા વધુ ન બોલી શકી.

‘સમજી ગયો. કોણ હતું એ? ધૂધવાતો સાગર બોલ્યો.

‘અજાણ્યો હતો.’

‘તે પહેલાં કહ્યું કેમ નહિ?’

‘જાનથી તને મારી નાખવાની ધમકી આપીને ગયો છે.’

‘અરે એવી ધમકીથી કાંઈ ડરવાનું હોય?’

‘મારે હવે જીવાય તેમ નથી. એનું ઓધાન રહ્યું છે.ને મારો બાપ મારા લગ્ન બીજે…’

સાગર આવક થઈ ગયો. થોડીવાર મૌન રહીને તેણે સ્વસ્થતા કેળવી. ‘જો પાકીઝા, નાસીપાસ ન થા. દાગ તારા શરીરને લાગ્યો છે તારા આત્માને નહી. હું તારા આત્માને ચાહું છું. તારા અસ્તિત્વને ચાહું છું. ફક્ત તારા શરીરને નહિ. તારી સાથે જે થયું તે ખોટું થયું છે. પણ તું મારા માટે પાકીઝા જ છે, પવિત્ર ને શુદ્ધ. સમાજ જાણે તો કલંક કહેવાય. આપણે જણાવવું નથી.તારા બાપને કહીદે લગ્ન બીજે કરવાની જરૂર નથી.’

પાકીઝાનું દર્દ સાગરની વિશાળ બાહોમાં શમી ગયું.

લેખક: રઘુવીર પટેલ
“જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
મોબાઈલ: 9428769433

 
Leave a comment

Posted by on મે 10, 2020 માં Raghuvir Patel

 

ઈચ્છા


ટૂંકી વાર્તા: ઈચ્છા

‘રોપશો તિતિક્ષાનું બીજ ,ઊગશે દુઃખોનો છોડ.
લણવું હશે સુખનું ફળ, પામશો દુઃખોની ઝડ.’

મંદિરએ આપણા વિચાર કેન્દ્રો છે. માનવ જયારે મુઝવણમાં મુકાય છે ત્યારે મંદિર પાસે જાય છે. પ્રભુના સાનિધ્યમાં તેને શાંતિ અને સમાધાન મળે છે. આમ તો પ્રભુનું મુખ એટલે મંદિરના પૂજારી-મહંત. આખા દિવસનો થાકેલો માણસ સાંજ પડે ઝાલર ટાણે મંદિર પહોંચી શાતા અનુભવે છે. આવા જ એક મંદિરમાં ભક્તોને આરતી પછી બાવજી વિચાર પ્રસાદ વહેચે છે. આજનો વિષય ઈચ્છા, સુખ, શાંતિ, સંતોષ પર ચાલી રહ્યો છે.

‘બાવજી સુખ શું છે?’એક ભક્તે પ્રશ્ન કર્યો.

‘સંતોષનું પરિણામ છે.’

‘આજે કોઈનામાં સંતોષ જોવા નથી મળતો. બધા દોડધામ શામાટે કરતા હશે?’

‘ઈચ્છાની પુરતી કરવા.’

‘ઈચ્છા શું છે?’

‘પ્રવૃત્તિની પ્રેરક છે.આમ તો સુખ મેળવવાની એક ચાવી છે ઈચ્છા. તો દુઃખનું કારણ પણ એજ છે. ઈચ્છા માણસને પ્રવૃત્તિ મય બનાવે છે. માણસ ઈચ્છાને સંતોષવા સતત પ્રવૃત્તિ કરતો રહે છે. પરિણામે ક્ષણિક સુખ મળે છે. તે માણે ન માણે ત્યાં બીજી ઈચ્છાનો જન્મ થાય છે. ફરી એની પાછળ દોડે છે. આગળ જતાં ઈચ્છા જરૂરિયાત બની જાય છે. જરૂરિયાત એ સર્જનની જનેતા છે. જેનાથી દેશ પ્રવૃત્તિમય રહે છે. ઉત્પાદન થાય છે. પણ વ્યક્તિ પૂરું સુખ માણી શકતો નથી.

એક સંતે કહ્યું છે કે “સુખ કભી નગદ નહિ મિલતા, સુખ ઉધાર હી મિલતા હૈ.” આમ તો ઈચ્છાના બહાને માણસ તપ કરે છે. ને તેનું પરિણામ ઉત્પાદન બને છે. ઈચ્છા એવી કરવી જોઈએ કે જે આપણે પૂરી કરવા સક્ષમ હોઈએ. જે ઈચ્છા પૂરી ન થઈ શકે તેવી હોય તે પૂર્ણ ન થતાં નિરાશા-હતાશા આવે છે. ને તે દુઃખનું કારણ બને છે. માટે ઈચ્છા તો હોવી જ જોઈએ. જયારે ઈચ્છાનો અભાવ થાય છે ત્યારે માણસમાં નિવૃત્તિ આવે છે. નિવૃત્ત વ્યક્તિ જડત્વ તરફ જાય છે. જે દેશ અને દુનિયા માટે જોખમકારક છે. દેશને ધબકતો રાખવો હશે તો ઈચ્છાને અવગણે નહિ ચાલે. પરંતુ ઈચ્છા તૃષ્ણા ન બનવી જોઈએ. ઉત્કટ ઈચ્છાને તૃષ્ણા કહે છે. તે ક્યારેય નાશ પામતી નથી. તેપૂર્ણ ન થતાં વ્યક્તિ અનાચાર તરફ જાય છે. દા.ત. કોઈ ઓછા પગાર વાળી વ્યક્તિ ઈચ્છાઓ મોટી કરે તે પૂરી કરવા જોઈતું નાણું ન હોય ત્યારે તે લાંચ લેવાનો પ્રયત્ન કરે છે. જેના પરિણામે તે ભ્રષ્ટાચારના વમળમાં ફસાય છે. માટે ભક્તો અતિશય તૃષ્ણા પણ સારી નહી ને અનિચ્છા પણ સારી નહી.’

‘તો બાવજી શું કરવું. ‘

‘મળેલ પરિણામમાં સંતોષ રાખી ઐહિક કર્મ કરતા રહો.’

‘બાવજી ઐહિક કર્મ એટલે શું?’

‘ મારી ફરજમાં જે કામ આવતું હોય તે પૂરી નિષ્ઠાથી કરું, તેને ઐહિક કર્મ કહે છે.’

‘બાવજી , આજકાલ લોકો અકરાંતિયું ભેગું કરે છે તે શું સુખ આપે?’

‘ના. જરાય નહિ. અતિશયતા એ ઝેર છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જેમ કે રસોઈમાં મીઠું વધારે પડે તો તે રસોઈ ઝેર બને છે. તેવી જ રીતે વધુ પડતું નાણું તમારી પાસે આવે એટલે તે ઝેર બની જાય છે. વધુ પડતી સત્તા પણ ઝેર છે. માટે જીવનમાં સમતોલપણું રાખો. હરીઓમ હવે સમય થયો છે. બીજી વાતો કાલે કરીશું.’

બાવજીએ પોતાની વાણીને વિરામ આપ્યો. બધા વિચાર પ્રસાદ લઈ વિચારોને મમળાવતા પોતાના ઘર તરફ પ્રયાણ થયા.

લેખક: રઘુવીર પટેલ
“જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
મોબાઈલ: 9428769433

 
Leave a comment

Posted by on એપ્રિલ 29, 2020 માં Raghuvir Patel

 

આલિંગન


‘રહી જીવનમાં એક અતૃપ્ત તૃષ્ણા,
રહ્યા અભરખા આલિંગને પુત્રેષ્ણા’

સિત્તેર વર્ષની ઉંમર વટાવી ગયેલી વૃદ્ધ શારદાડોશી પોતાની યુવાનીનું રૂપ અને ગુરૂર ગુમાવી બેઠાં છે. આંખોએ સાથ છોડી દીધો છે. શરીર પર લૂ ખસ થઈ છે. આખો દિવસ શરીર પર ખંજવાળને ખાળવા શરીર ઘસ્યા કરે છે. અશક્તિ અંગે અંગમાં આરૂઢ થઈ બેસી ગઈ છે. જે શરીરને ઊભુ થવા દેતી નથી. આજે દીકરાના ઘરે દીકરો આવ્યો છે.પોતાના કુળનો રખેવાળ આવ્યો છે. હર્ષાશ્રુથી આંખો ભરાઈ ગઈ છે.

પૌત્રને આલિંગનમાં લેવાના તડપી રહ્યા.હમણાં પૌત્ર ખોળામાં આવશે એ આશાએ આજથી સિત્તેર વર્ષ પહેલાં પુત્ર જન્મ વેળા આંખોમાં તાદ્રશ્ય થઈ. યુવાન શારદા અને છગનભાઈનું જોડું આદર્શ મનાતું. રૂપ તો ભગવાને શારદાને દિલ દઈને આપેલું.પણ લગ્ન જીવનના વીસ વીસ વહી જવા છતાં મોટી ઉંમર સુધી ભગવાને શારદાની કૂખ સામે જોયું નહોતું. કેટલીય બાધા આખડીઓ લીધી. વૈધ-હકીમોને બતાવ્યું, મંદિરોના પગથિયા ઘસી નાખ્યા, તોય પરિણામ ન આવ્યું.

આમ તો બંને ભક્તિ ભાવવાળા, ઘરમાં ભક્તિનું જ વાતાવરણ હોય. કોઈ આ ભક્તિ કરે છે તે બાબત સારી ગણાવે તો કોઈ વળી, હવે બન્નેમાં કોઈ ક્વુત (કાંઈ કરવાની ક્ષમતા) નથી પછી શું કરે, મંજીરા જ વગાડે ને? એટલે પતિ છગન સામે રોજ પુત્ર વાંછનાના બળાપા કાઢે.

છગન ભગવાનનો માણસ. પુત્ર મોહને ટાળવા સમજાવે : ‘જો આપણે કેટલા પ્રયત્નો કર્યા છતાં આપણને ભગવાને સંતન ન આપ્યું એમાં એનો ઈરાદો…’

‘દુનિયામાં શું આપણે એકલા જ અભાગી છીએ? એક તાંતણામાં શું એને ખાદ પડી જાય છે?’

‘એને તો ભંડાર ભરેલા હોય પણ આપણને ન આપવા પાછળ એનો આશય કાંઈ સારો હશે.’

‘સારો શું ? આપણી ભક્તિમાં જ કોઈ ખોટ લાગે છે ?’

‘તું જે માને તે. પણ ભગવાને આપણને ગુમડાં ન આપીને સુખી રાખ્યા છે. પેલા કૃપાળુ બાવજી (શ્રીમદ્ રાજચંદ્ર ) કહે છે કે –‘સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે, લેશ લખશે લહો.’ એટલે કે સુખ મેળવવા જતાં સુખ ચાલ્યું જાય છે, દુઃખ આવીને ઊભુ રહે છે. ગીતામાં પણ ભગવાને સંસાર સાથે સબંધ વિચ્છેદ કરી મારો યોગ કર એમ કહ્યું છે. સંસાર તો અસાર છે. અત્યારે સુખી છીએ સંતાનની પળોજણમાં દુઃખ આવી ઊભુ રહેશે. ભગવાને આપણને તેની ભક્તિ કરવા સીધો રાજમાર્ગ આપ્યો છે. સંતાનોની જિજીવિષામાં ક્યાંક આડા માર્ગે ફંટાઈ જવાશે.’

‘તમે પુરુષો શું જાણો એક સ્ત્રીની વેદના? રસ્તે જતાં આપણા કોઈ શુકન નથી લેતું. મને બધા કૂખકાણી કહે છે. વાંઝણી કહે છે.’

‘દુનિયા છે ! એતો બધી બાજુ બોલે. નથી તો વાંઝણી કહે, ને વધારે હોય તો ભૂંડણીની માફક જણનારી કહે.’

એ ગમે તે હોય મારે ખોળાનો ખુંદનાર જોઈએ છે, પગલીનો પાડનાર જોઈએ છે. ઘોડાનો ચઢનાર જોઈએ છે.મેંણા મરનારના મોઢા બંધ કરવા સંતાન જોઈએ છે.’ શારદાએ પતિ આગળ ખોળો પાથર્યો.

ભગત મનથી મક્કમ ભગવાનની ઈચ્છા હશે એમ થશે. ભગત ભણ્યા નહોતા પણ ભગવાન પ્રત્યેની શ્રધ્ધા અને આધ્યાત્મિક જ્ઞાન ગજબનું હતું.

શરદાની કાકલુદી કે એમની ભક્તિ કદાચ ભગવાને સાંભળી હશે કે કેમ? ચાલીસી વટાવ્યા પછી.ભગવાને પિસ્તાલીસમા વર્ષે સારો દિવસ બતાવ્યો. તેની જાણ થતાં એ ગાંડીગાંડી થઈ ગઈ.સંતાન માટે હવે શુંનું શું કરું એ વિચારે હવામાં ઉડવા લાગી. પુરા મહીને દીકરો અવતર્યો પછી દુનિયામાં શારદા જેવું બીજું ભાગ્યશાળી કોણ હોય? દીકરાને તસતસતું આલિંગન આપ્યું. આપે જ ને ! તેના માટેતો કેટ કેટલું કર્યું હતું.

દીકરાને લાડ કોડથી મોટો કરવામાં મોટાભાગનો સમય પસાર થવા લાગ્યો. ભગવાન અધ્યાહાર થવા લાગ્યા. હવે ભક્તિ એકલા છગનભગતની રહી. દીકરો પણ દિવસે ના વધે એટલો રાત્રે વધે ને રાત્રે ન વધે એટલો દિવસે વધે. જોત જોતામાં વર્ષો વીતી ગયાં.દીકરાને ભણાવી-પરણાવી ધંધે લગાડયો. છગન ભગત તો ભગવાનનું નામ ને એ. બીજી કોઈ લલુંથા નહિ.

જોકે શારદાને હવે ડોશી થઈ ત્યારે સંસારનો રસ ચાખવા મળ્યો. દીકરાને તો બાળપણથી સારા સંસ્કાર મળ્યા હતા એટલે માબાપની સેવા એને માટે શિરોમાન્ય હતી. પણ.. પણ નવી પરણીને આવેલી વહુ સંસ્કરોના સિંચનથી કોળીધાકોર રહી હતી.

ભગત દંપતીએ ચીભડુ તો મીઠું શોધવાનો પ્રયત્ન કરેલો પણ કડવા વેલાનું ચીભડું હાથ લાગી ગયું તેની ખબર ન રહી. સાસુ વહુને સામે સમો તારો હતો. રોજ ચણભણ ચાલુ હોય.અશક્તિ પોતાનો પ્રભાવ બતાવા લાગી એટલે કામ થાય નહી, ને વહુ આળસુની પીળ. શારદા ક્યારેક આકાશ સામે જોઈ મનોમન ભગવાનને ફરિયાદ કરે ત્યારે છગન ભગત તેની વાત કળી જાય. કહે પણ ખરા : ‘હું શું કહેતો હતો, હવે સમજાયું કે આ મોહ રસ્તામાં બાધા નાખશે.!’

‘તમારી વાત સાચી હતી. દીકરો તો આપણો છેને?’

‘એ ખોટા ભ્રમમાં ના રહેતી. એ પણ કાલે બદલાઈ જશે.’

છગન ભગતતો હરિનું નામ લેતા લેતા ભગવાનના ઘરે પહોંચી ગયા. તેમના વાક્યો શારદા માટે સાચા પડતાં ગયા. દીકરાને ધીમે ધીમે પત્નીએ મા પાસેથી ઝુંટવી લીધો. તે પત્ની તરફ ઢળતો ગયો.શારદાડોશીનું અશક્ત શરીર, આંખનો અંધાપો, શરીરે લૂ ખસ થઈ તેથી બધા છેટા ભાગવા લાગ્યાં.સેવામાં કાપ આવવા લાગ્યો.ઘરમાં વહુની હકુમત ચાલવા લાગી. પુત્ર પત્નીને પૂછી પાણી પીવા લાગ્યો. એમાં વઢકણી વહુએ દીકરો જણ્યો.પછી પૂછવું જ શું?

‘તમે ક્યાં બાબાને લઈ જાવ છો ?’ પત્ની નીતાએ પ્રશ્ન કર્યો.

‘બા રમાડવા માંગે છે.’

‘ના , એમને ખસ છે, બાબાને ચેપ લાગી જાય, પાછા વળો ?’

વહુના શબ્દે શારદા ડોશી ભાનમાં આવ્યાં. કહ્યાગરો પતિ પાછો વળી ગયો. શારદા ડોશી મનોમન સમસમી રહ્યાં.પુત્રને આલિંગન આપવાના અભરખા રહી ગયા. ભગતને ને પોતાને છેટું પડી ગયું, તેનો વસવસો કરવા લાગ્યાં.

*******

લેખક: રઘુવીર પટેલ
“જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
મોબાઈલ: 9428769433

 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 16, 2020 માં Raghuvir Patel

 

ટૅગ્સ: ,

લજ્જા 


રાજ્યની સબ જેલમાં મહિલા કેદી નંબર 303 નામ એનું કામિની પતિની હત્યાના ગુનામાં સજા ભોગવી રહી છે. તે બીજા કેદીઓ સાથે ક્યારેય ઝઘડો કરતી નથી તેમજ કોઈની સાથે વધુ બોલતી પણ નથી. એકાકી રહે છે. તે હંમેશાં પોતાની દીકરીને યાદ કર્યા કરે છે. આજે પણ દીકરીની યાદોની વણજારમાં વિહરી રહી છે. દીકરી પણ કેવી… નામ એનું લજ્જા, દેખાવે સોહામણી, નામ એવા ગુણ, બોલે ત્યારે લજ્જાના શેરડા છૂટતા દેખાય.

આમ તો નાનપણમાં ગામની એક અલ્લડ છોકરી. દેખાવે રૂપાળી પણ ગરીબ ઘરનું રતન. મેલાંઘેલાં કપડાંમાં ઢંકાયેલું. શાળામાં ભણવા જાય તોય છેલ્લે બેસવું પડે, કારણ ગરીબી. પોતાની બા સાથે બાપે બીજા લગ્ન કરેલા, ઓરનામ બાપ એટલે ખાસ કાંઈ ધ્યાન આપે નહિ. બાપ ટેમ્પામાં કંડકટરી કરવા જાય, જે આવે તે નશામાં ઉડાવી દેતો હોય, એટલે ગરીબી ઘરમાં ઘર કરી ગયેલી. છૂટક મજૂરી કરી જીવન વિતાવવાનું એટલે ખાસ કોઈ કામધંધો મળે નહી. બાનો પગ ભાંગેલો એટલે ઘરના કામનો બોજો તેના પર. ક્યારેક તેને મજૂરીએ પણ જવું પડે, તેથી ભણવામાં હંમેશાં પાછળ પડે. ભણવાની પ્રબળ ઈચ્છા છતાં તૈયારી કરી શકે નહી. સાહેબો પાસેથી કે બીજા પાસેથી માંગી લાવી પુસ્તકો લઈ વાંચે.

પ્રાથમિક શિક્ષણ માંડ પૂરું કરી હાઈસ્કૂલમાં આવી તે સમયે તેના શારીરિક તથા માનસિક ફેરફારો થવા લાગ્યા. આ ઉંમરે ફેરફારો થાય તે સ્વાભાવિક છે. તેના કપડાં રીતભાતમાં બદલાવ આવ્યો.કપડાં નાનાં પડવા લાગ્યા. તેનામાં વસંત ડોકાવા લાગી. સુગંધને એનું માર્કેટિંગ કરવું પડતું નથી.ભ્રમર એના ગંતવ્ય સ્થાને આવી જતા હોય છે. લજ્જાની પાછળ ભ્રમર ગુંજન કરવા લાગ્યા. લજ્જામાં હવે સમજણનું સગપણ થઈ ગયું હતું. નાનપણની અલ્લડતા ચાલી ગઈ હતી. હવે વાત વાતમાં શરમના શેરડા છૂટતા હતા.

તેને બાહ્ય વાતોને બાજુ પર મૂકી ભણવામાં ધ્યાન આપ્યું. તેને સમજણ આવી ગઈ હતી કે આ જગતમાં ભણ્યા વિના આપણું કોઈ ભવિષ્ય નથી. સામાન્ય લગતી છોકરી દસમા ધોરણમાં શાળામાં પ્રથમ નંબર લાવી ત્યારે આખું ગામ દાતમાં આંગળાં નાખી ગયું. ને કહેવા લાગ્યા કે આતો ધૂળમાં દટાયેલું રતન છે. તે પદવીઓ પર પદવીઓ પ્રાપ્ત કરતી ગઈ, પણ મર્યાદા ન ભૂલી. તેની ડીગ્રીઓ સોહામણી બનતી ગઈ તેમ શરીર સૌષ્ઠવ પણ ખીલતું ગયું. ભ્રમરોનો ગુજારવ વધતો ગયો. કોઈ ભ્રમરને આ ફૂલ પર બેસવાની હિંમત ન કરી શકતો, કારણ તેને એન.સી.સી જોઈન્ટ કરી હતી. કરાટે ચેમ્પિયન હતી.

લજ્જાએ પોતાની લાજ સાચવવા ભલે ગરીબીએ માજા મૂકી હતી, છતાં મર્યાદા તોડી નહોતી. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરી તેના પરિણામે પોલીસમાં ઈન્ટરવ્યું આપવાનો ઓડર તેના હાથમાં આવ્યો. પ્રેક્ટીકલમાં એ પાસ થઈ ગઈ હતી.હવે ઓરલ બાકી હતું. કાલે એ પૂરું થાય એટલે વર્ષોની ગરીબીની વેદનાથી મુક્તિ.નોકરીના સ્વપ્નો જોતી સૂતી પણ કહેવાય છેકે કાલ સવારે શું થવાનું કોને ખબર.!

કહેવાય છેકે વાડ ચીભડાં ગળે તો કોને કહેવાય? તે રાત્રે તેનો બાપ મોડો ઘરે આવેલો નશામાં ચકચૂર હતો. તેને દીકરીની લાજ પર હાથ નાખવાનો પ્રયત્ન કર્યો.. બાપ ઉઠીને દીકરી પર નજર… તો બાપના નામે કલંક આનાથી બીજું કોને કહેવાય.? અચાનક ઉઘમાંથી જાગેલી દીકરી બાપને જોઈ હેબતાઈ ગઈ. આ વાત બહાર કોઈને જણાવી પણ ન શકે, ને સહન પણ ન કરી શકે તેવી પરિસ્થિતિ બની.. તેની ભાંગેલા પગ વાળી બા મહામુસીબતે છોડાવવા ગઈ તો તેને ભીંત સાથે ભટકાવી. લજ્જા હડસેલો મારી ભાગવા ગઈ તો ફરી પગમાં પકડી ખેંચી.

લજ્જા હવે સમજી ગઈ કે આબરૂ બચાવવા બાપને કરાટેનો સ્વાદ ચખાડવો પડશે.તે કરાટેથી બાપને પાછો વાળી શકી હોત પણ કુદરત શું કરાવે કોને ખબર,તેના હાથમાં લાકડાં કાપવાનો કૂહાડો આવી ગયો. જગદંબાનું નામ લઈ ફટકારી દીધો. બાપના રામ રમી ગયા.તેની બાએ દૃશ્ય નજરો નજર જોયું. લજ્જા ગભરાઈ ગઈ.તેની બાએ વિચારી લીધું દીકરીનું જીવન રોળાઈ … ગુનો પોતે…

‘ કેદી નંબર 303 !’ જેલરે બુમ પાડી ત્યારે ભાનમાં આવી. ‘તમને કોઈ મળવા આવ્યું છે.’

કોટડીના દરવાજા ઝડપથી ખુલી ગયા. કામિનીએ કૃશ નજરે જોયું તો કોઈ પોલીસ અધિકારી ઉભાંહતાં. સ્મરણ શક્તિ તેજ થઈ,આવનાર કામિનીના પગમાં પડી ગઈ. ‘બા, હું…’ શબ્દો અધ્યાહાર રહ્યા.

મા-દીકરી ભેટી પડ્યાં જેલના કર્મચારી અવાચક થઈ ગયા.જેલર તો અધિકારી ની બા ને કેદી નંબર બોલીને પોતે કેટલી મોટી ભૂલ કરી એ વિચારે જ ગભરાઈ ગયો.

‘બા, તારું સ્વપ્નું પૂરું થયું. તને મળવા આવી ત્યારે તે કહેલું કે તને મોટી અધિકારી જોવાનું મારું સ્વપ્નું છે એ પૂરું કર્યા વિના ન આવતી.’

કામિનીની તો વાણી જ હણાઈ ગઈ હતી.

‘ આજે જ ટ્રેનીગ પૂરી કરી સીધી તારી પાસે આવી છું. મારું પોસ્ટીંગ આ જ જેલમાં થયું છે’.

‘દીકરી… લજ્જા,.. તે…’

‘બા , લાજ તો તે મારી રાખી…’

‘દી..ક..રી..કામિની હર્ષના અતિરેકમાં સમતોલન ગુમાવી બેઠી. ભારે એટક આવી ગયો. દીકરીના હાથમાં જ …
લજ્જા આજે સાચા અર્થમાં નોંધારી બની ગઈ.

*******

લેખક : રઘુવીર પટેલ “જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
મોબાઈલ : +919428769433

 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 1, 2020 માં Raghuvir Patel

 

ટૅગ્સ: ,

મિત્રતા (ટૂંકીવાર્તા)


લગ્નની મોસમ તો હજુ ખીલી નથી છતાં વિલાયતમાં રહેતા જમાઈને પરત જવાનું હોવાથી ઘડિયા લગ્ન લેવાઈ રહ્યા છે. ગૌરાંગભાઈના ઘરે લગ્નો મંડપ શણગારાઈ ગયો છે. જાનડીઓના મીઠા લગ્નગીત સંભળાઈ રહ્યા છે. વર પૂંખણાની તૈયારી થઈ રહીં છે. પકવાન તૈયાર થઈ ગયા છે. મહેમાનો અવનવી મોઘી ભેટ સોગાદો લઈને આવી રહ્યા છે. ગૌરાંગભાઈ અને તેનો પરિવાર સહુને પ્રેમથી આવકારી રહ્યો છે. ગૌરાંગભાઈ વારે વારે દરવાજા તરફ નજર દોડાવી રહ્યો છે. હજુ મારો જીગરી દોસ્ત મનન કેમ ન આવ્યો? ક્યારેય મોડો ન પડનાર આજે ખરા ટાઇમે કેમ ન આવ્યો. આવે એટલે એની વાત છે. શું મારી દીકરીનું લગ્ન એને નહી ગમ્યું હોય? એવું કેમ બને ? દીકરીના વેવિશાળના પહેલા સમાચાર તો મેં એને આપ્યા ત્યારે પહેલા મુબારક તો તેણે મને આપ્યા હતા. અને આજે એને શું બગડી ગયું ? નક્કી કઈક કારણ હશે. એ આવે એટલે વાત. ગૌરાંગના મનમાં કેટલાય પ્રશ્નો રમવા લાગ્યા. પૂંખણા થઈ ગયા, લગ્નવિધિ શરુ થવાની તૈયારી છે ગૌરાંગ વિયોગ ભોગવી રહ્યો મિત્રનો. તે મિત્રની મિત્રતાના નેપથ્યમાં ડોકિયું કરી ગયો.

મનન અને ગૌરાંગ શહેરમાં એક જ સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારથી એવા મન મળી ગયેલા કે ન પૂછો વાત. વીસ વર્ષ એકજ સોસાયટીમાં સાથે રહ્યા. બબે વર્ષના બાળકોને લઈને આવેલા બાળકો, આજ લગ્નમંડપ શોભાવે તેવા થઈ ગયા.વીસ વર્ષમાં બંનેના જીવનમાં કેટલાય તડકા છાંયડા આવ્યા.ગૌરાંગને ધંધામાં ખોટ ગઈ. છેલ્લો ઉપાય સદાને માટે દુનિયા છોડી જવાનો, તે પતિ-પત્ની ને બાળકે પૂર્વ તૈયારી કરી દીધી પણ મનનને જાણ થતાં મદદ કરી ઉગાડી લીધો. તો મનનની પત્નીનું અવસાન થતાં ગૌરાંગના પરિવારે સ્મિતને અને મનનને સાચવી લીધા. ગૌરાંગભાઇની સુરભી ને મનનકુમારનો સ્મિત સાથે રમેલાં સાથે ભણેલાં ને યૌવન જ્યાં મૂછ મરડીને આવ્યું ત્યારે સહજ આંખ પણ રમી ગયેલી. ભણતાં ભણતાં સંસારનાં સ્વપ્નો સજાવેલાં. પરંતુ સંસ્કાર માબાપ માંથી ઉતરી આવેલા એટલે મર્યાદા અકબંધ રહી. હ્રદય હ્રદયને સ્પર્શ કરે,આંખ આંખને નીરખ્યા કરે. વર્ષોના એક જ સોસાયટીમાં સાથે જ રહેવાથી.એમના એકાંત માટે કોઈ પ્રયત્ન કરવો પડે તેમ નહોતો. સ્મિત મોટેભાગે સુરભીના ઘરે જ હોય. તો સુરભી પણ સ્મિતના ઘરે લાંબો સમય રોકાય સ્મિતનું ઘર એમનું આરાધ્ય સ્થળ.બંને પાસપાસે બેસી એકબીજાના હ્રદયને માણ્યા કરે. ભવિષ્યની ઈમારતો ચણ્યા કરે.

‘સ્મિત મને તારું સ્મિત બહુ ગમે છે.’

‘મને તારી સૌરભ ઘેનમાં નાખે છે.’

‘થોડો સમય ખમી જાવ મારા ખાવિંદ લગ્ન ફેરા પછી…’

‘હું પણ એજ રાહ જોઈ રહ્યો છું પછી તો તારી સૌરભમાં ખોવાઈ જવું છે.’

‘સ્મિત, આપણે સ્વપ્નોમાં રમીએ તો છીએ પણ…’

‘પણ શું સુરભી?’

‘આપણે એક થઈ શકીશું?’

‘અરે ગાંડી, એક જ છીએને ?’

‘સ્મિત તું મારી વાત સમજ્યો નહી. આપણી જ્ઞાતિ જુદી છે. આ સમાજ સ્વીકારશે આપણા પ્રેમને?’

‘ તારી વાત સાચી છે. ન સ્વીકારે તો…’

‘ હું તો ગાંડી થઈ જાઉં.’

‘ગાંડા થઈ જવું એટલે જ પૂરું થતું હોય તો એ પ્રેમ કાચો કહેવાય.’

‘તો શું થાય?’

‘આ હ્રદય ચાલે જ કેમ??’

પ્રેમની પરાકાષ્ઠા સાચા અર્થમાં સ્મિતે પચાવી છે. તે સુરભિને જીજાનથી ચાહે છે. આમતો કોઇપણ મહોલ્લો કે ગામ આ પ્રેમની ગંધને પામી જતું હોય છે. પણ સ્મિત સુરભીનો પ્રેમ એવો કઈ અલગારી નહોતો કે કોઈ જાણી જાય. જોકે બંનેના હ્રદયની એકતા વડીલો જાણતા પણ એકબીજામાં ભળી જવા જેટલી નિકટતા જણતા નહોતા. ગૌરાંગભાઈ સુરભીના હાથ પીળા કરવા સમાજમાં યોગ્ય મુરતિયાની શોધમાં લાગી ગયા. તેમણે યોગ્ય પૈસેટકે ખમતીધર અને વિલાયત રહેતા યુવાનનું ઘર શોધી પણ કાઢ્યું. સુરભીના સંસ્કારો બાપ આગળ કાંઈ બોલી ન શક્યા. જોકે સ્મિતને મનનભાઈના કાને વાત નાખી. સુરભી પ્રત્યેનો લગાવ જણાવ્યો. પહેલા તો મનનભાઈ સ્તબ્ધ રહી ગયા. જોકે તે સ્વભાવવશ કોઈ ઉતાવળિયું પગલું ભરે એવા નહોતા. મનનભાઈ ગૌરાંગભાઈ કરતા જરા ઉતરતી જ્ઞાતિના હતા.સુરભી સ્મિત માટે યોગ્ય હતી પણ જુદી જ્ઞાતિના કારણે દીકરાએ ખોટું પગલું ભર્યું છે એવું લાગ્યું. સ્મિતના સ્પષ્ટ શબ્દો ‘હું એના વગર નહી રહી શકું.’ હવે એક બાજુ પુત્ર પ્રેમ ને બીજી બાજુ મિત્રતા.કેવી રીતે કહેવું. બીજું મનનભાઈએ ગૌરાંગભાઈની પડતીમાં મદદ કરેલી.એટલે જો આ વાત કરે તો અહેસાનનો બદલો માંગ્યો કહેવાય. મનનભાઈ સ્મિતના સ્વભાવથી પરિચિત હતા કે એ નકાર સહન નહી કરી શકે. મનનભાઈ પુત્રપ્રેમ ખાતર ગૌરાંગભાઈને ત્યાં દીકરાનું માગું લઈને જવા નીકળ્યા ત્યાં તો…

ગૌરાંગભાઈએ ફોન કરી મનનભાઈને પોતાના ઘરે બોલાવ્યા. મનનભાઈએ વિચાર્યું આજે વાત નાખતો જ આવું. ઘરમાં ચહલપહલ થઈ રહી છે. આજે બધા ખુબ આનંદમાં છે, દીકરી સુરભી સિવાય.

‘ આવ આવ મનન આજે તો આનંદનો દિવસ છે, મોં મીઠું કર.’

‘ શાનો આનંદ છે ગૌરાંગ કહેતો ખરો !’

‘સુરભીનો વેવિશાળ નક્કી થઈ ગયો.’ગોળનો ટુકડો મનનના મોઢામાં મુકતાં.

મનનને ગોળના ટુકડા સાથે દાતમાં જીભ આવી ગઈ. હ્રદય એક ધબકારો ચુકી ગયું.

‘અભિનંદન દીકરી સદાસુહાગણ રહો.’ શબ્દોમાં આશીર્વાદ હતા પણ હ્રદય તો કાંઈક… ગૌરાગે મનનનો હાથ પકડી પોતાની ખુશી વ્યક્ત કરી.’ઘડિયા લગ્ન લેવાના છે.લગ્ન થઈ જાય તો વિઝા નીકળી શકે, જમાઈને વધારે રજા નથી, વિલાયત જવાનું છે. એટલે લગ્ન સાદાઈથી ગામડે કરવાના છે.’ મનનની પોતાની વાત મનમાં જ રહી,શિથિલ હ્રદયે પાછો ઘરે આવ્યો.

કન્યા પધરાવો સાવધાન ! નો ભૂદેવનો પોકાર સંભળાયો ને ગૌરોગ ભાનમાં આવ્યો. ત્યાં હાંફરો ફાંફરો દોડતો મનન આવ્યો. . મનન ગૌરાંગને ભેટી પડ્યો. મહામુસીબતે આંસુ રોકી રાખ્યા.

થોડી સ્વસ્થતા આવતાં મનનને હલાવી નાખતાં

‘ કેમ ભાઈ મિત્રની દીકરીનું લગ્ન ન ગમ્યું? કેમ મોડો પડ્યો. સ્મિત ક્યાં છે?’

‘સુરભીનું લગ્ન થઈ જવા દે પછી કહું છું.’

‘ ના મને અત્યારે જ કહે મારી દીકરી પણ જાણે કે કાકા લગ્નમાં સમયસર કેમ ન આવ્યા.’

‘ ગૌરાંગ જીદ ન કર.’

‘ ના , મારે સાંભળવું છેકે મિત્રની દીકરીના લગ્ન કરતાં એવું મોટું કયું કામ આવી પડ્યું કે ન આવી શક્યો.સુરભીના વેવિશાળના મુબારકબાદ આપ્યા પછી દેખાયો નથી.’

‘સ્મિત હોસ્પિટલ… છે.’

‘ હેં … શું કહ્યું? હોસ્પિટલ? શું થયું ?‘

‘આઘાતી એટેક…’

‘ક્યારે?’

‘ તને મુબારકબાદ આપીને ગયા પછી’ મનનના શબ્દોમાં દર્દ હતું.

સ્મિતના હાર્ટ એટેકની વાત સાંભળતાં સુરભી લગ્નમંડપમાં બેસતાં તેનો પગ પાછો પડ્યો. નીચે ફસડાઈ પડી.આઘાતી હુમલો આવી ગયો. આનંદનો અવસર શોકમાં પલટાઈ ગયો.એ જ શણગારેલી ગાડી સુરભિને લઈ શહેરની પ્રખ્યાત હોસ્પિટલ પહોંચી જ્યાં સ્મિત સૂતો છે. તાત્કાલિક સારવાર મળતાં તે બચી ગઈ. સ્ત્રી વાર્ડમાં જગ્યા ન હોવાથી સ્મિતના વાર્ડમાં શીપ કરી. લગ્ન વગર જાન પછી વળી.જમાઈ… વિલાયત…

સ્વજનોથી આખી હોસ્પિટલ ભરાઈ ગઈ.

‘મનન સ્મિતને એટેક કેમ આવ્યો?’

‘તારી સુરભીને એટેક કેમ આવ્યો હું પૂછી શકું…?’ આંખમાં આંસુ સાથે મનનને કહ્યું.

‘ તું આ વાત જાણતો હતો? આટલી મોટી વાત તે મારાથી છુપાવી? ’

‘ ગૌરાંગ સાચી વાત કહું ? હું તારા ઘરે આપણા સંતાનોના હ્રદયની વાત કરવા જ આવ્યો હતો પણ..’

‘પણ શું?

‘તે મારા મોઢામાં સુરભીના વેવિશાળનો ગોળ મૂકી દીધો હતો.’

‘અરે મિત્ર મને એક અણસાર આપ્યો હોત તો પણ હું આ વેવિશાળ…’

‘ના મિત્ર હું આપણી જ્ઞાતિને કારણે..’

‘તું આવ વાડામાં ક્યારથી માનતો થયો.?’

‘ ’ મનન મૌન રહ્યો.

‘હું પણ કેટલો મુર્ખ છું. મારી કાખમાં હીરો હતો ને જગતમાં શોધવા નીકળ્યો… બોલ, હવે ક્યારે આવે છે માગું લઈને.?’

પાસપાસે પથારીમાં પડેલા બે આત્માઓએ સરવળાટ કર્યો.મનનની આંખમાં હર્ષનાં અશ્રુ ટપકી રહ્યાં.

*******

લેખક : રઘુવીર પટેલ

“જિગર” (ભજપુરા)

મોબાઈલ : +919428769433

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 20, 2020 માં Raghuvir Patel

 

ટૅગ્સ: ,